નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15/16/17 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસ છે. ત્રણ દિવસમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટ/ અમદાવાદ- ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી/ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી/ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલન અને 8 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા. વડાપ્રધાનનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી નર્મદા ડેમ પણ છલકાઈ જાય છે !
વડાપ્રધાનના પ્રવાસ પહેલા ચાર દિવસ અગાઉથી જ પોલીસ પોલીસ બંદોબસ્તની કસરત શરુ થઈ જાય છે. આશરે 4000 જેટલો પોલીસ ફોર્સ રોકાઈ રહે છે. પોલીસ/ વહિવટીતંત્ર/ કાર્યક્રમોના આયોજન પાછળ ઓછામાં ઓછા 25 કરોડનો ધૂમાડો થઈ જાય છે. દેશના 80 કરોડ લોકો સરકારી અનાજ પર જીવે છે, તેઓ બીજી ચીજવસ્તુઓ પર GST ચૂકવે છે, એટલે વડાપ્રધાનનો બાદશાહી ખર્ચ તો જનતાની કેડ પર જ હોય છે. સવાલ એ છે કે કરોડો-કરોડાના મહાભવ્ય કાર્યક્રમોના બદલામાં ગુજરાતને મળે છે શું?
ગુજરાતને મળે છે નવું નકોર જૂઠ ! વડાપ્રધાને કહ્યું હતું : “ભારત જે રીતે નવા સંકલ્પો સાથે કામ કરી રહ્યું છે, તે દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. દુનિયામાં દરેક વ્યક્તિ ભારત અને ભારતીયોનું ખુલ્લા દિલે સ્વાગત કરે છે. દરેક વ્યક્તિ ભારત સાથે સારા સંબંધો રાખવા માંગે છે. વિશ્વના લોકો કટોકટીના સમયે સમાધાન માટે ભારત તરફ જુએ છે. વિશ્વની અપેક્ષાઓમાં વધુ વધારો થયો છે, કારણ કે ભારતની જનતાએ સતત ત્રીજી વખત સ્થિર સરકાર બનાવી છે. જેમ જેમ કુશળ યુવાનોની માગ વધે છે, તેમ તેમ ખેડૂતો અને યુવાનો વિશ્વાસ વધારવાનાં સીધા લાભાર્થી છે. વિશ્વાસમાં વધારો નિકાસમાં વધારો કરે છે અને વિદેશી રોકાણકારો માટે તકો ઉભી કરે છે…એક તરફ દેશનો દરેક નાગરિક પોતાના દેશની તાકાતને પ્રોત્સાહન આપવા સાથે સમગ્ર દુનિયામાં ભારતનાં બ્રાન્ડ એમ્બેસેડર બનવા ઇચ્છે છે, ત્યારે દેશમાં કેટલાંક નકારાત્મકતા ધરાવતાં લોકો તેનાથી તદ્દન વિપરીત કામ કરી રહ્યાં છે. આવા લોકો દેશની એકતા પર હુમલો કરી રહ્યા છે. સત્તાના ભૂખ્યા લોકોનો એક ચોક્કસ વર્ગ ભારતના ટુકડા કરવા માંગે છે. આવા વિભાજનકારી તત્ત્વોથી સાવધ રહો. અને આવા લોકોથી સાવચેત રહો.” (pmindiaની સરકારી યાદી મુજબ)
કેવું અને કેટલું જૂઠ ! ક્યા નવા સંકલ્પો? મણિપુર સળતું રહે તે? મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરનારને છાવરે તે? બળાત્કારીઓ/ હત્યારાઓનું કંકુ-તિલકથી સન્માન કરે તે? સુપ્રિમકોર્ટના જજ પ્રેસ કોન્ફરન્સ કરી લોકશાહી બચાવોની બૂમો પાડે તે? મહાભ્રષ્ટાચારીઓ સામેના CBI/ED/ITના કેસો પરત ખેંચી તેમને CM/ નાયબ CM બનાવે તે? કાળા નાણાથી રાજ્ય સરકારો ગબડાવે તે? ગરીબ દેશના વડાપ્રધાન રેલી દીઠ 25 કરોડથી વધુ ખર્ચ કરે તે? શિક્ષણનું ખાનગીકરણ કરે તે? લોકો આર્થિક કારણોસર સામૂહિક આત્મહત્યા કરે તે? આદિવાસીઓને જંગલોથી દૂર કરી કોર્પોરેટ કંપનીને શોષણ માટે સોંપી દે તે? શું આવા સંકલ્પોનું મહિમામંડન કરી શકીય? ‘વિશ્વના લોકો કટોકટીના સમયે સમાધાન માટે ભારત તરફ જુએ છે’ શું આ મિથ્યાભિમાન નથી? ક્યાં સુધી આવા પંપ માર્યા કરશો? ત્રીજી વખત સરકાર બની તેથી ખેડૂતો અને યુવાનોને શું લાભ થયો? શું બેરોજગારી ઘટી? ખેડૂતોને MSPનો હક્ક મળ્યો? લોકશાહીમાં સરકારની નીતિઓની આલોચના વિપક્ષ કરે એટલે તે નકારાત્મક થઈ જાય? દેશની એકતા પર હુમલો કરનારા થઈ જાય? સત્તા ભૂખ્યાં થઈ જાય? ભારતના ટુકડા કરનારા થઈ જાય? નફરત કોણ ફેલાવે છે? વિપક્ષ કે ખુદ વડાપ્રધાન? આવું બધું જૂઠ સરકારી યાદી દ્વારા વહેતું કરવાનું? સરકારી ખર્ચે કાર્યક્રમ યોજવાનો અને સરકારી મશીનરી દ્વારા વિપક્ષનું ચરિત્રહનન કરવાનું?
વડાપ્રધાન ભલે બાદશાહી ખર્ચા કરે; નફરત અને ધર્મના આધારે સત્તા સોંપનાર લોકોને ડામ પડે તેમાં જાહેરહિત સમાયેલું છે. આટલા હલકા/ જૂઠ્ઠા વડાપ્રધાન બીજા કોઈ નહીં મળે. લોકોએ સહન કર્યા વિના છૂટકો નથી. થોર વાવ્યો છે એટલે કાંટા વાગશે જ ! સવાલ એ છે કે આવા ખર્ચા કરીને જૂઠ જ પીરસવાનું હોય તો એનાથી દેશની છબિ ખરડાય નહીં?
Comments