અતંકવાદી હુમલા માટે ભારતના મુસ્લિમો જવાબદાર કે સરકાર? નિંદા કરતી વખતે એ ભૂલી જવાય છે કે બધી જ હિંસા અધર્મ છે
ભારતમાં આતંકવાદી હુમલાઓ માટે મુસ્લિમો જવાબદાર છે કે સરકાર? જ્યારે પણ પાકિસ્તાનની ધરતી પરનાં આતંકવાદી જૂથો દ્વારા ભારતમાં હુમલા થાય છે, ત્યારે હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા ભારતના મુસ્લિમોને દોષારોપણ કરવાનું ફેશન બની ગયું છે. હકીકતમાં, આતંકવાદી હુમલાઓ સાથે ભારતના મુસ્લિમોનો કોઈ સંબંધ નથી, સિવાય કે તેઓ આ હુમલાઓમાં સહભાગી હોય અથવા આતંકવાદી જૂથો સાથે જોડાયેલા હોય.
આ હુમલાઓ સામે રક્ષણ મેળવવા માટે હુમલાખોરોને પકડીને કાયદા મુજબ સજા કરવી એ સરકારની જવાબદારી છે. પુલવામા કે પહેલગામ જેવા હુમલાઓમાં જો પાકિસ્તાનથી આતંકીઓ આવ્યા હોય, તો સરહદ પર તૈનાત લશ્કર શું કરે છે? સરહદથી ૫૦-૬૦ કિલોમીટર અંદર આતંકીઓ કેવી રીતે ઘૂસે છે? ભારતના ૧૩ લાખ લશ્કરમાંથી પાંચ લાખ લશ્કર જમ્મુ-કાશ્મીરમાં છે, છતાં આ પ્રકારની ઘૂસણખોરી થાય છે, તો એ સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા કહેવાય નહીં?
તારની વાડ અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ હોવા છતાં ઘૂસણખોરી થાય છે, તો એ લશ્કર અને ગુપ્તચર ખાતાની નિષ્ફળતા છે. આ નિષ્ફળતા મોદી સરકારની છે કે નહીં? ૨૦૦૧માં અમેરિકા પર અલ કાયદાના હુમલાઓ પછી ત્યાં એક પણ આતંકવાદી હુમલો થયો નથી. તો ભારત આમાં નિષ્ફળ કેમ જાય છે?
આ વર્ષના સંરક્ષણ બજેટમાં ₹ ૬.૮૧ લાખ કરોડનો ખર્ચ છે. આટલા ખર્ચ છતાં સુરક્ષા સુનિશ્ચિત કેમ નથી? આ સવાલ નાગરિકો તરીકે પૂછવાનો આપણો અધિકાર છે, કારણ કે આંતરિક અને બાહ્ય સુરક્ષા રાજ્યનું પ્રથમ કાર્ય છે.
ભારતના તમામ મુસ્લિમ સંગઠનોએ આતંકવાદી હુમલાઓની નિંદા કરવી જોઈએ, જેથી હિન્દુત્વવાદી સંગઠનોના ખોટા પ્રચારને ટેકો ન મળે. પાકિસ્તાન સાથે આતંકવાદી સંગઠનોના મુદ્દે સરકારને નવેસરથી વિચારવું પડશે. છપ્પનની છાતી ત્યાં પણ દેખાડવાની જરૂર છે.
આંતકવાદી હુમલાઓ કાયદો અને વ્યવસ્થાનો તેમજ રાજકીય પ્રશ્ન છે. તેનો ઉકેલ દેશના મુસ્લિમોને દોષી ઠેરવ્યા વિના શોધવો જોઈએ. ૨૦૧૬માં નોટબંદી દરમિયાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ ખતમ થવાની વાત કરી હતી. આઠ વર્ષ પછી પણ ૧૯ મોટા આતંકવાદી હુમલાઓ થયા છે. તો શું નોટબંદીથી આતંકવાદ ખતમ થયો?
બધી જ હિંસા અધર્મ છે
પહેલગામની આતંકવાદી હિંસાની નિંદા કરતી વખતે એ ભૂલી જવાય છે કે હિંસાનો સંપ્રદાય દુનિયાનાં બધાં વિસ્તારોમાં લગભગ એક સરખો હોય છે—અધિકારી કે સંસ્થા નહીં, પણ એક વિચારના નાશ માટે વ્યક્તિને નાશ કરવાની ભૂલ.
ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડસે એક કટ્ટર હિંદુ રાષ્ટ્રવાદી વિચાર ધરાવતો હતો. એનો સામાજિક અને રાજકીય અભિગમ ભેદભાવપૂર્વકનો હતો. સામે, ગાંધી અહિંસા, લોકશાહી અને સર્વધર્મ સમભાવના વિચારોના પ્રતિનિધિ હતા. બીજી તરફ, આતંકવાદીઓ પણ એક વિચારધારા સાથે હિંસાનું સાધન પસંદ કરે છે—એ વિચાર ધાર્મિક કટ્ટરતા છે અને ભારતમાં ધર્મના આધાર પર ભેદભાવ વધારે એવો છે.
ધર્મે સદીઓથી અનેક પ્રકારની હિંસા પેદા કરી છે. આજકાલ એ જ હિંસા "આતંકવાદ" તરીકે ઓળખાય છે. ધર્મ જો કટ્ટરતા, નફરત અને ઝેર પેદા કરે, તો એ ધારણ અધર્મ બને છે. એક ધર્મના લોકોની હિંસા બીજાને હિંસા કરવા પ્રેરણા આપે છે અને એ માટે હિંસાનું કોઈ અંત રહેતું નથી. અંતે બચાવે છે માત્ર અહિંસા.
જ્યારે પોતાનો હિંસાત્મક અભિગમ યોગ્ય લાગે, ત્યારે સમજવું જોઈએ કે બીજાઓ પણ એ જ તર્ક આપી શકે છે. હિંસા ક્યારેય યોગ્ય ઠરી શકે નહીં. આજે એક મોટો વર્ગ એવી જ હિંસાને સાચવવા અને સમર્થન આપવા માંડી ગયો છે—જેમ ગોડસેની હિંસા. અને એ જ લોકો આતંકવાદીઓની હિંસા સામે ઉગ્ર નિવેદન કરે છે. આ દ્વિધા આશ્ચર્યજનક છે. હિંસા હંમેશાં ત્યાજ્ય છે—એ નાની કે મોટી નથી, સાવ ત્યાજ્ય છે.
ગાંધીની હત્યા એક વિચારના મતભેદથી થઈ. જો વિચારની અસહમતી હિંસાની દિશામાં લઇ જાય, તો માનવજાતની યાત્રા બિનમૂલ્યવાળી બની જાય. માનવ વિકાસની પરાકાષ્ઠા અહિંસા છે. વ્યક્તિને મારી નાખવાથી વિચાર મરતો નથી. આજે પણ ગાંધીના વિચાર જીવંત છે. ગોડસેને ફાંસી લાગ્યા છતાં એના વિચારોના અનુયાયીઓ જીવંત છે. એ જ રીતે આતંકવાદીઓનો શારિરિક નાશ થયા પછી પણ એ વિચારશક્તિ જીવંત રહી શકે છે. પ્રશ્ન એ વિચારોને બદલવાનો છે—એ માટે ખુલ્લા દિમાગથી વિચારવાની જરૂર છે.
ધર્મના નામે થતી હિંસા સૌથી ખતરનાક છે. જ્યારે રાજકીય તંત્ર તેમાં ભળે ત્યારે હિટલરના રૂપમાં તેમનાં પરિણામો સામે આવે છે. આજે દુનિયામાં જે પણ વિકાસ થયો છે, એ હિંસાથી નહીં પણ મનુષ્યની બુદ્ધિપૂર્ણ અહિંસા દ્વારા થયો છે. માનવજાતનો ઇતિહાસ એનો જીવતો પુરાવો છે.
અહિંસા પરમો ધર્મ:
Comments