ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન થયા તે પછી હું જેમાં હતો તેવા પત્રકારોના એક વોટ્સએપ ગ્રુપમાં તેમનો ઉલ્લેખ કેટલાક પત્રકારો તેમની પોસ્ટમાં 'દાદા' તરીકે કરતા હતા. મેં પૂછ્યું કે તેમને કેમ 'દાદા' કહો છો? તો એક પત્રકારે કહેલું કે તેઓ અમદાવાદના કોર્પોરેટર હતા ત્યારથી તેમને ઘણા લોકો દાદા તરીકે ઓળખે છે.
આ મુખ્ય પ્રધાન 'દાદા'એ હવે તેમની દાદાગીરી વડોદરામાં છતી કરી દીધી!
વડોદરાના આજવા રોડ પરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં રૂ.1,156 કરોડના વિકાસનાં નવીન કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત ઘણા પદાધિકારીઓ સામેલ હતા.
મુખ્ય પ્રધાન બોલતા હતા ત્યારે જ ઊભા થઈને હરિણી બોટકાંડમાં દીકરી અને દીકરો ગુમાવનારી માતાઓ સરલા શિંદે અને સંધ્યા નિઝામાએ તેમની સમક્ષ ન્યાય અંગે રજૂઆત કરી હતી.
પોલિસે એ બંને મહિલાઓનો અવાજ દબાવવા માટે મોઢા પર હાથ મૂકી તેમને સભાગૃહની બહાર કાઢી મૂક્યાં. એ બહેનો બોલતાં હતાં ત્યારે મુખ્ય મંત્રીએ કહ્યું: "તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન, એવું ન હોઈ શકે, એવી રીતે વાત ન થાય, પછી મળી જજો." જો કે, સામે મહિલાઓએ તરત એમ કહ્યું કે, "અમે શાંતિથી મળવા માંગતા હતાં, દોઢ વર્ષથી ધક્કા ખાઈએ છીએ પરંતુ કોઈ અમને મળવા નથી દેતું."
આ વાક્ય કાન પર પડે પછી મુખ્ય મંત્રીએ ખરેખર શું કરવું જોઈએ? તેમને બોલવા દઈને એમ કહેવું જોઈએ કે સભા પતે પછી મળીએ અને તમારા પ્રશ્નનો ઉકેલ લાવીએ.
મુખ્ય મંત્રીના વલણ સામે પોતાનો આક્રંદ વ્યક્ત કરતાં પીડિતાએ કહ્યું કે, ''શું અમે આતંકવાદી છીએ? શું અમે ગુનેગારો છીએ? અમારો વાંક એટલો જ છે કે અમે અમારાં બાળકો ગુમાવ્યાં છે."
એજન્ડા કોનો હતો? મુખ્ય મંત્રીનો. તેમનો એજન્ડા નક્કી હતો: લોકાર્પણ, ઉદ્ઘાટન અને ભાષણ. એ બે મહિલાઓનો એજન્ડા શું હતો: જે દુર્ઘટનામાં તેમણે પોતાનાં બાળકો ગુમાવ્યાં છે એમાં ન્યાય માટે અરજ કરવી.
સવાલ એ છે કે કોનો એજન્ડા મહત્ત્વનો? નાગરિકોની સમસ્યાનો કે મુખ્ય મંત્રીના સરકારી પ્રચારનો? લોકશાહીમાં સરકારનો એજન્ડા એ હોય કે નાગરિકોને ન્યાય મળે. 'દાદા'ની દાદાગીરીથી એ એજન્ડા ભૂંસાઈ ગયો! અને 'દાદા'ની પોલિસે એટલે કે એમણે પોતે જ, દાદાગીરી કરીને નાગરિક મહિલાઓના એજન્ડા વિશે કશું સાંભળવાની ચેષ્ટા સુદ્ધાં ન કરી?
બંધારણના આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય માટે ભારતની સ્થાપના થઈ છે એમ લખવામાં આવ્યું છે. પણ જ્યાં સરકાર 'દાદા'ગીરીથી ચાલતી હોય અને જ્યાં એમની દાદાગીરી ચાલતી હોય ત્યાં આવા ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?
પ્રશ્ન ન્યાય અને કાયદાના શાસનનો છે. કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્ય પ્રધાન કેવી દાદાગીરી કરી શકે તે ગુજરાતે નિહાળ્યું. નેતાઓને આવાં બધાં વિશેષણો લગાડતાં પહેલાં લોકોએ અને પત્રકારોએ સો વાર વિચાર કરવો જોઈએ. 'દાદા'ની દાદાગીરી સામે મહિલાઓની ગાંધીગીરી હતી. બંને મહિલાઓનું એ સ્વચ્છતા મિશન હતું, સરકારમાં ઘૂસેલી ગંદકી માટેનું, ગાંધીના ઊંધા ચશ્માને સીધા કરવાની કોશિશ કરનારું. અવાજ અહિંસક રીતે રજૂ કરવો એટલે ગાંધીગીરી અને એ અવાજને રાજ્ય બળ દ્વારા કચડી નાખે તે હિંસા.
Comments