ETVભારત નામની ટીવી ચેનલનાં પત્રકાર કાજલ ચૌહાણ અને કેમેરામેન મુકેશ ડોડિયા નરેન્દ્ર મોદીએ રિચાર્ડ એટનબરોએ ગાંધી ફિલ્મ બનાવી તે પહેલાં ગાંધીને દુનિયામાં કોઈ જાણતું નહોતું એવું જે વિધાન કરેલું તેના સંદર્ભમાં મારું મંતવ્ય લેવા પરમ દિવસે મારા ઘરે સાંજે છએક વાગ્યે આવેલા.
તેઓ ૧૯૨૦માં મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં આ જ હેતુસર જઈને મારા ઘરે આવેલા.
પત્રકાર કાજલ ચૌહાણના કહેવા મુજબ તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં સૌ પ્રથમ પત્રકારત્વ વિભાગના વિદ્વાન અધ્યાપક અશ્વિન ચૌહાણ પાસે ગયા. તેમણે નરેન્દ્ર મોદીના ઉપરોક્ત વિધાન અંગે કશું બોલવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તેઓ ગાંધી વિચાર વિભાગના અધ્યાપક પ્રેમાનંદ મિશ્ર સાથે વાત કરે.
બંને પછી વિદ્વાન અધ્યાપક પ્રેમાનંદ મિશ્ર પાસે ગયા. એ અધ્યાપકે બંનેને એમ કહ્યું કે તેઓ વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલની મંજૂરી લઈને આવે. બંને પછી હર્ષદ પટેલ પાસે ગયા. એક જમાનામાં ભાજપના પ્રચારક એટલે કે મિડિયા હેડ રહેલા હર્ષદ પટેલે એમ કહ્યું કે તેઓ રાજકારણમાં પાડવા માગતા નથી એટલે તેઓ આ મુદ્દે કશું નહિ બોલે.
અને વાત પતી ગઈ.
મહાત્મા ગાંધીની તો આખી જિંદગી જ રાજકારણમાં ગયેલી. એ ગાંધીની વિદ્યાપીઠના કુલપતિ અને અધ્યાપકો ગાંધી વિશે દેશના વડા પ્રધાન કશુંક વાહિયાત બોલે તો પણ પોતાનું મંતવ્ય ન આપી શકે એ હાલતમાં ગૂજરાત વિદ્યાપીઠ આવી ગઈ છે!
નરેન્દ્ર મોદીએ ૨૦૨૦માં બહાર પડેલી નવી શિક્ષણ નીતિમાં આઠ વખત અધ્યાપકો અને વિદ્યાર્થીઓ critical thinking કરતા થાય એવો ઉદ્દેશ લખેલો છે.
પણ ગૂજરાત વિદ્યાપીઠમાં critical thinking તો ઠીક પણ thinking એટલે વિચાર કરવા ઉપર અને વિચારની અભિવ્યક્તિ પર જ હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોય એમ લાગે છે.
મહાત્મા ગાંધીએ કહેલું કે, "સ્વતંત્રતા કદી પણ કોઈ પણ કિંમતે મોંઘી હોઈ શકે નહિ. એ તો જિંદગીનો શ્વાસ છે." મોદીના વ્યસનનું બંધાણ ગૂજરાત વિદ્યાપીઠને કેટલું બધું લાગ્યું છે! એ છૂટી શકશે? ક્યારે?
ગાંધીની ગૂજરાત વિદ્યાપીઠમાં સ્વતંત્રતાનો શ્વાસ રૂંધાઈ ગયો છે. વિદ્યાપીઠની આ દશા જોઈને ઉપર રહ્યે રહ્યે પણ ગાંધીનું "ધ્યાન" તો વ્યક્તિની સ્વતંત્રતા એટલે કે સ્વરાજ પર જ રહે, બીજે ક્યાંય નહિ.
અને હા, સ્વામી વિવેકાનંદનું "ધ્યાન" પણ આધ્યાત્મિક સ્વતંત્રતાની સાથે સાથે માનસિક સ્વતંત્રતા પર પણ એટલું જ હતું.
કાશ, મોદીનું "ધ્યાન" વિવેકાનંદના આ 'ધ્યાન' પર પણ જાય!
બોલો, વિશ્વગુરુ ભારત માતા કી જય.
टिप्पणियाँ